કળીયુગની આ અનોખી સ્ટોરી ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે. જે સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરું પાડશે

હિંદી ફિલ્મ ‘વિવાહ’માં શાહિદ કપૂર પોતાની ફિયાન્સી સાથે અર્ધબળેલી હાલતમાં લગ્ન કરે છે અને સમાજમા ઉત્તમ ઉદાહરણ પાર પાડે છે. આવો જ એક અદ્ભુત કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જ્યાં યુવકે સગાઈના માત્ર 2 મહિના બાદ યુવતીને કરંટ લાગતા તેનો એક હાથ અને બે પગ કાપવા પડ્યા છે. પરંતુ તેનો ભાવી પતિ યુવતીને જીવનભરનો સાથ આપવા તૈયાર છે. સાંભળીને નવાઈ લાગી હશે, પરંતું રિયલ લાઈફની આ સ્ટોરી રિલ લાઈફને પાછળ પાડી દે તો નવાઈ નહી.

આજના સમયમાં વચન, સંબંધ કે વિશ્વાસ તોડવો તે કોઈ મોટી વાત નથી. વર્ષો જુના સંબંધો માત્ર એક સામાન્ય કારણોસર લોકો તોડી દેતા હોય છે, તેવામાં સગાઈના દિવસે આપેલુ વચન નિભાવી રહ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 18 વર્ષીય યુવતી હિરલ તનસુખભાઈ વડગામાં છે. હિરલ પોતાના ઘરે ઘરકામ કરતી હતી તે સમયે વિજળીનો વાયર તુટ્યો અને ઘર પર પડ્યો જેમાં હિરલને કરંટ લાગતા ગંભીર રીતે દાઝી હતી, જેથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેનો જમણો હાથ અને બન્ને પગ ઢીંચણ સુધીના કાપવા પડ્યા છે. અને આ બનાવથી જાણે હિરલના પરિવાર પર આફત આવી પડી છે.

હિરલને કરંટ લાગતા તેના હાથ-પગ કાપવા પડ્યા છે. પરંતુ હિરલ સાથે 28 માર્ચના રોજ સગાઈ થઈ છે. તેવામા પરિવારને શંકા હતી કે યુવક હિરલને છોડી દેશે, પરંતુ ચિરાગ ગજ્જર હિરલનો આજીવન સાથ આપવા કટીબદ્ધ બન્યો છે. જ્યારથી ચિરાગે હિરલ સાથે થયેલા બનાવની વાત સાંભળી છે, ત્યારથી તે એક મીનીટ માટે પણ તેનાથી દૂર નથી થયો. ઉપરાંત ચિરાગ હિરલને આજ પરિસ્થિતીમાં સ્વિકારવા તૈયાર થયો છે. ઉપરાંત ચિરાગના માતા-પિતા પણ હિરલનો સ્વિકાર કરવા તૈયાર છે. અને તમામ પરિવાર છેલ્લા એક મહિનાથી હિરલની ખડેપગે સેવા કરી રહ્યો છે.

સામાન્ય કારણોમાં સંબંધો તોડનારા લોકો માટે આ કિસ્સો ખરેખર પ્રેરણા રૂપ છે. માત્ર 2 મહિનાનો હિરલ સાથેનો પરિચય અને તેમાં પણ એક મહિનો તો સારવાર માટે સાથે રહેનાર ચિરાગ આજીવન સાથ આપવાનુ વચન આપ્યુ છે. ત્યારે કળીયુગની આ અનોખી લવ સ્ટોરી ખરેખર ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો