છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રભરમાં વરસાદ, સોમનાથ પંથકમાં 6 ઇંચ, વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમા ખુશી

વાયુ વાવાઝોડાની દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે અસર થઇ છે. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સુત્રાપાડામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ વેરાવળમાં 2, કોડીનારમાં 2, ઉનામાં 1 અને ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ રાજકોટમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગીરસોમનાથ જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.

સોમનાથ મંદિર પાસે દુકાનોમાં ગોઠણડૂબ પાણી ભરાયા.

વરસાદથી રાજકોટમાં વીજ પુરવઠો ખોરવાયો

રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે.

ગોંડલમાં ધોધમાર વરસાદ

ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો તો ટળ્યો છે પણ સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદ પાડવાની આગાહી પણ કરવામાં આવી છે. જેની અસર રાજકોટ જિલ્લાના ગોંડલ તથા આસપાસ ના વિસ્તારમાં પણ જોવા મળી હતી. ગઈકાલ દિવસ દરમિયાન હળવા ઝાપટા તેમજ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું ત્યારે આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બાદમાં થોડા સમય માટે ભારે પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. વરસાદની આગાહીને પગલે તમામ શાળા-કોલેજોમાં તંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદ બાદ શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી

ગીરસોમનાથમાં આખી રાત વરસાદ પડ્યો હતો. ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરૂ વાવેતર કર્યું છે તેને જીવનદાન મળ્યું છે. ગીરસોમનાથ જિલ્લામાં વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો