‘વાયુ’ વાવાઝોડાનો સામનો કરવા આર્મીની 34, NDRFની 35, SDRFની 11 ટીમ ખડેપગે, 5 લાખ ફુડ પેકેટ્સની વ્યવસ્થા કરાશે

અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિ.મી. દૂર કેન્દ્રિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્યનું વહિવટીતંત્ર સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે.આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપી હતી. જેમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ(NDRF)ની 15 ટીમ ઉપલબ્ધ છે અને વધારાની 20 ટીમ પૂણે અને ભટીંડાથી રવાના કરાઇ છે. આમ એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં 35 ટીમ ખડેપગે રહેશે. તેની સાથે સાથે લશ્કરની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરવામાં આવી છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કાંઠાળા વિસ્તારમાં મરિન સિક્યુરિટી ફોર્સના જવાનો ઉપરાંત એસડીઆરએફની 11 ટૂકડી રવાના કરવામાં આવી છે. તેમજ 5 લાખ ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરાઈ છે.

મુખ્યમંત્રીએ 13થી 15 દરમ્યાન યોજનારો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં જ્યાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે ત્યાં આ ત્રણ દિવસ શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

‘ઝીરો ટોલરન્સ ઝીરો કેઝ્યુઆલિટી’નો મક્કમ નિર્ધાર

રાજ્યના મુખ્ય સચિવે જણાવ્યું કે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સંભવિત વાવાઝોડાં સામે ‘ઝીરો ટોલરન્સ ઝીરો કેઝ્યુઆલિટી’ના મક્કમ નિર્ધાર સાથે રાજ્યના વહિવટીતંત્રએ સજ્જતા કેળવવા નિર્ધાર કર્યો છે. મુખ્ય સચિવે સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા કલેક્ટર સહિત વહિવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધી કાંઠાળા વિસ્તારોમાંથી નાગરિકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતરથી માંડીને લોકોના જાન-માલના રક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, વીજળી, રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધિ વાવાઝોડા સામેની લોકજાગૃતિ જેવા વિવિધ મુદે માર્ગદર્શન-સૂચનો આપ્યા હતા.

માર્ગ મકાન વિભાગ, વન વિભાગ અને વીજ કંપનીની ટીમો કાર્યરત

સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા વૃક્ષો ધરાશાયી થાય કે વીજ થાંભલા પડવાથી રસ્તા બંધ થાય તેવા કિસ્સામાં માર્ગ મકાન વિભાગ, વન વિભાગ અને વીજ કંપની એમ ત્રણેય વિભાગના કર્મચારીઓની એકથી વધુ ટીમો પ્રત્યેક અસરગ્રસ્ત જિલ્લામાં કાર્યરત રહી રસ્તાની સુવિધા, વીજળીની સુવિધા સતત ઉપલબ્ધ રહે તે માટે કાર્યરત રહેશે.

નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ

વાવાઝોડા સંદર્ભે અગમચેતીના પગલાં સ્વરૂપે સૌરાષ્ટ્ર–કચ્છના કાંઠાળા અગિયાર જિલ્લાઓ કે જ્યાં વાવાઝોડાની અસરની સંભાવના છે ત્યાં 12 અને 13 જૂન એમ બે દિવસ શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે 13 જૂનની વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને ધ્યાને લઇ કાંઠા વિસ્તારના ગામોમાંથી નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. લોકોને શેલ્ટર હોમમાં ભોજન-પીવાનું પાણી- સેનિટેશન, વીજળી, આરોગ્ય સુવિધા જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તેની કાળજી લેવા જિલ્લા વહિવટી તંત્રને મુખ્ય સચિવે સુચના આપી હતી.

પાણી ઉલેચવા 100 જેટલાં ડિવોટરિંગ પમ્પ્સ તૈયાર

આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે રાજ્યભરમાંથી 100 જેટલાં ડિવોટરિંગ પમ્પ્સને પણ સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરવા સુચના આપી છે. એટલું જ નહીં સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ સૂકા નાસ્તાના પાંચ લાખ ફૂડ પેકેટ્સ પીવાના પાણીના પાઉચ સાથે તૈયાર કરવા પણ રાજ્યના પુરવઠા વિભાગને સૂચના આપી છે.

પવનની ઝડપ વધીને પ્રતિ કલાકે 120 કિ.મી.ની થવાની શક્યતા

ભારતીય હવામાન ખાતાના ગુજરાત સ્થિત હવામાન શાસ્ત્રી જયંત સરકારે વાયુ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ વધીને પ્રતિકલાકે 120 કિ.મી.ની થવાની શક્યતા છે. માત્ર એટલું જ નહીં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ આ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રખાઇ રહી છે.

મોબાઇલ ટાવર 24×7 સતત કાર્યરત રાખવાની કાળજી લેવા સૂચના

હવામાન ખાતાની આ આગાહીના પગલે રાજ્ય સરકારે માછીમારોને દરિયો નહીં ખેડવા ઉપરાંત પ્રવાસીઓને દરિયાકાંઠે કે બીચ ઉપર ફરવા નહીં જવા સૂચના આપી છે. દરિયાકાંઠાના લોકોને વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું નહીં કરવાની ખાસ સૂચના દ્વારા સાવચેત કરાયા છે. વાવાઝોડાની સંભાવિત પરિસ્થિતિ દરમિયાન સંદેશા વ્યવહાર સતત કાર્યરત રહે તે માટે ભારત સંચાર નિગમ લી. ઉપરાંત રાજ્યભરના મોબાઇલ ઓપરેટર્સને મોબાઇલ ટાવર 24×7 સતત કાર્યરત રહે તે માટે કાળજી લેવા કહેવામાં આવ્યું છે.

સ્થળાંતર માટે વયસ્કો, મહિલાઓ અને દિવ્યાંગોની ખાસ કાળજી

જ્યારે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે સજ્જતા કેળવવા અનુરોધ કર્યો હતો. તેમજ સ્થળાંતર માટે વયસ્કો, મહિલાઓ અને દિવ્યાંગોની ખાસ કાળજી લેવા પણ જિલ્લા વહીવટી તંત્રને જણાવ્યું હતું. રાજ્ય સરકારે સાડા ચાર લાખ જેટલાં ખેડૂતો-માછીમારોને એસ.એમ.એસ. સેવા દ્વારા એલર્ટ કરાયા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો