સતત એર કંડિશનરનો ઉપયોગ કરતા લોકો થઈ જજો સાવધાન

વધતા જતા ગ્લોબલ વોર્મિગની સાથે સાથે માણસોની એર કંડિશનરમાં રહેવાની ટેવમાં પણ વધારો થયો છે. પરંતુ આ ટેવને કારણે તમારા સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. એર કંડિશનરના કારણે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. તેની પાછળનું કારણ તેમાં રહેલો વાયુ છે, જે બહારના વાતાવરણની સરખામણીમાં કૃત્રિમ રીતે ઠંડક ફેલાવે છે. ઘર કે ઓફિસમાં 8થી10 કલાક સુધી સતત બેસી રહેવાથી આ વાયુ ધીરે-ધીરે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

ACમાં સતત રહેવાથી થતા નુકસાનનાં કારણો

તાજી હવાનો અભાવ અને હવાની અવર-જવર પર રોક

એસીના કારણે હવાની અવર-જવર પર રોક લાગવાથી, એસીમાં રહેલો હાઇડ્રો ફ્લોરો કાર્બન વાયુ શરીર માટે ઘાતક નીવડે છે. વધારે ઠંડક મેળવવા માટે સામાન્ય લોકોમાં એવી ધારણા રહેલી હોય છે કે, એસી ચાલુ હોય ત્યારે રૂમનાં બારી અને દરવાજા એવી રીતે બંધ હોવા જોઇએ કે જેથી બહારની હવાની અવર-જવર તદ્દન બંધ થઈ જાય. આમ કરવાથી કૃત્રિમ વાયુના સતત સંપર્કના કારણે શરીર પર તેની આડઅસરો જોવા મળે છે.

વધારે પડતું ઠંડું વાતાવરણ

એસીમાં રાતભર સૂઇ રહેવાથી તેનાથી થતાં નુકસાનના દરમાં વધારો થાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન 37 ડિગ્રી સે.ની આસપાસ હોય છે. પરંતુ આખી રાત એસીમાં સૂઇ રહેવાથી શરીરના પોતાના તાપમાન અને રૂમના વાતાવરણમાં મોટો તફાવત થવાથી રોગ પ્રતિકારક શક્તિ પર અસર કરે છે.

વાતાવરણમાં શુષ્કતા

એસીની કાર્ય પ્રણાલી એ રીતે બનેલી હોય છે, કે જેના કારણે એસી વાતાવરણની સાથોસાથ આપના શરીરમાંથી પણ મોઇશ્ચર (ભેજ) ખેંચી લે છે, જેના લીધે આપના શરીરની ત્વચા સુકાઇ જાય છે. પરિણામે આંખોમાં બળતરા, માથા અને શરીરના દુખાવાની સમસ્યા ઊભી થાય છે.

સતત ACમાં બેસી રહેવાથી થતાં નુકસાન

  • વાયરલ ઈન્ફેક્શન
  • સુકાયેલ ચામડી
  • આંખોની લાલાશ
  • સાંધાનો દુખાવો

એર કંડિશનરમાં વધારે સમય રહેવાથી આપને ફ્લુ, શરદી જેવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. સાથોસાથ આપની આંખોને પણ એટલું જ નુકસાન થાય છે, જેમાં આંખોમા ખંજવાળ, બળતરા, આંખોમાંથી પાણી વહેવાની સમસ્યાનો સમાવેશ થાય છે. ACમાંથી આવતા ઠંડા પવનને કારણે ચામડી સુકાવાનો પણ ડર રહે છે. આ ઉપરાંત ગળા, હાથ અને ઘુંટણના દુખાવાની પીડાનો સામનો કરવો પડે છે.

ભૌતિક સુવિધાઓ ભોગવવા માટે શરીરને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. પરંતુ ટેક્નોલોજીને આધિન માનવી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવી રહ્યો છે. એર કંડિશનરથી ટેવાયેલ માણસોને એસી વગર બેચેની અનુભવાય છે, જે તેની લતનો સૌથી મોટો ગેરલાભ છે.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો