‘વાયુ’ વાવાઝોડાનો રૂટ બદલાયો, સૌરાષ્ટ્રના કાંઠે નહીં ત્રાટકે, વેરાવળ-પોરબંદરના બદલે ઓમાન તરફ ફંટાયું, દરિયાકાંઠે માત્ર અસર થશે

મઘરાતે ‘વાયુ’ વાવાઝોડાની થોડી દિશા બદલાઇ છે પરંતુ ઝડપમાં વધારો થયો છે. બપોર બાદ સરકાર ગુજરાતના વાતાવરણને લઈને ફરી જાહેરાત કરી શકે છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જે માત્ર ગુજરાતના દરિયાકાંઠે અસર કરશે.

વાયુ વાવાઝોડાનો ગુજરાત પર કોઈ ખતરો નહીં-સ્કાયમેટ:

હવામાન એજેન્સી સ્કાયમેટે દાવો કર્યો છે કે ‘વાયુ’ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહીં થાય. આ વાવાઝોડું પોરબંદર નજીકથી પસાર થાય તેવી શક્યતા છે. હાલ જે કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે. કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

જો કે આ અંગે હુજ ચોક્કસપણે કહી ના શકાય કે વાયુ વાવાઝોડુ વેરાવળના દરિયાકાંઠે ટકરાશે નહીં. જો કે એવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે વેરાવળના દરિયાકાંઠે ટકરાતાં અગાઉ વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાવવાની શક્યતા જોવા મળી છે. વાયુનું આંશિક દિશા પરિવર્તન થતા ગુજરાત માટે રાહતના સમાચાર જોવા મળી રહ્યાં છે.

વેરાવળથી 150 કિમી દૂર દરિયામાં વાયુએ દિશા બદલી હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જો વાયુનો ખતરો આંશિક રીતે ટળ્યો છતાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ભારે પવન સાથે વરસાદના કારણે દરિયા કિનારે નુકસાન થવાની ભિતી વ્યક્ત કરવામાં આવી છે. જો કે વાયુ વાવાઝોડુ રાજ્યના દરિયાકાંઠે ટકરાય તે અગાઉ દિશા બદલી રહ્યું હોવાની શક્યતાઓ વ્યકત કરાઇ રહી છે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાના પગલે તંત્ર સાબદુ બન્યુ છે. ત્યારે વાવાઝોડાના પગલે 2 હજાર 251 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાત કરવામાં આવે છોટાઉદેપુરની તો અહીંના 258 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો.

જ્યારે દેવભૂમિ દ્વારકાના 129 ગામો, ગીર સોમનાથના 189 ગામો, જામનગરના 105 ગામો, જૂનાગઢના 118 ગામોમાં વીજપુરવઠો ખોરવાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણાના 240 ગામો, પાટણના 317 ગામોમાં પણ વીજપુરવઠો ખોરવાતા અને બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડતા લોકોમાં પણ ભારે ભય જોવા મળ્યો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો