અમદાવાદમાં જગતપુર પાસે આવેલા ગણેશ જેનેસિસ રેસિડેન્ટમાં ACનું કમ્પ્રેસર ફાટતાં ભીષણ આગ, એકનું મોત, લોકોને જીવના જોખમે નીચે ઉતાર્યાં

અમદાવાદમાં જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે. ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર થઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી દરમિયાન ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરેકલ ચાલુ થયું નહોતું. જેને પગલે લોકોને જીવના જોખમે નીચે ઉતારવામાં આવ્યા હતાં.

ટેક્નિકલ ખામીના કારણે ફાયરબ્રિગેડની હાઇડ્રોલીક સીડી ખુલી નહીં.

ઘરની ચાદરો બાંધી 11માં માળેથી ટોઈલેટના ડકની વિન્ડોમાંથી ઉપરના માળે ગયા

આ ફ્લેટમાં હાજર ઉત્તમ પંચાલે કહ્યું હતું કે 11માં માળે સવારે ઓફિસ જવા માટે મેં જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે પેસેજમાં ખૂબ જ ધુમાડો હતો. જેથી મેં દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ સાતથી આઠ લોકો ઘરમાં હાજર હતા. ઘરની ચાદરો બાંધી અને 11માં માળેથી ટોઈલેટના ડકમાંથી વિન્ડોમાંથી ઉપરના માળે લઈ ગયા અને ત્યારબાદ ટેરેસ પર પહોંચ્યા. હેલિકોપ્ટરની પણ માંગ કરી હતી અને ફોન કર્યો હતો પણ મદદ મળી નહોતી.

ફાયર બ્રિગેડની ટીમે લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ અત્યાર સુધી 35થી વધારે લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા. 25થી વધું લોકોને નાની મોટી ઇજા થતા સારવાર આપવામાં આવી રહીં છે. ફાયરબ્રિગેડના જવાનોએ લોકોને બચાવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમો લોકોના ઘરોના કાચ તોડી લોકનો બહાર કાઢ્યાં હતા.

આગ આગળ પ્રસરે નહીં તે માટે ફાયરબ્રિગેડ પુરતા પ્રયાસ કરી રહીં છે. ધૂમાડાના ગોટા દૂર સુધી જોવા મળતા હતા. ફાયરબ્રિગેડની ટીમે કોઇ જાનહાની થાય નહીં તે માટે સાવચેતીના ભાગરૂપે સમગ્ર બ્લોક ખાલી કરાવ્યો છે.

9માં માળે બે ઓવરવેઈટ લોકો ફસાયા

ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરમુજબ, નવમા માળે બે લોકો ફસાયા છે. આ બન્ને લોકો ઓવર વેઇટ હોવાથી તેમને હવે નીચે ઉતારવામાં આવશે.સાત લોકોને ફાયરે વિભાગે રેસ્કયુ કર્યા છે.

આગ લાગતા 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે પહોંચ્યા હતા છે. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સિવાય બીજા 15 જેટલા લોકોને પણ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફ્લેટના રહીશોએ ફાયર કર્મીઓ સાથે મારામારી કરતા કામગીરીમાં અડચણ આવી

આ આગને પગલે તેમજ ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ફ્લેટના રહીશોએ ફાયર કર્મીઓ સાથે મારામારી કરી હતી અને પોલીસ રહીશોની ભીડને કાબુમાં કરી શકતી નહોતી. જેને પગલે રેસ્કયુ કામગીરીમાં અડચણ ઉભી થઈ હતી.

બે બ્લોક ભેગા કરી ફ્લેટ બનાવ્યો હતો, ફર્નિચર બળવા લાગતા આગ વિકરાળ બની

બે બ્લોક ભેગા કરીને મોટો ફ્લેટ બનાવ્યો હતો. રસોડામાંથી આગ ડ્રોઈંગ રૂમ અને બીજા રૂમમાં ફેલાતા ફર્નિચર બળવા લાગ્યું હતું. જેને પગલે આગ વધુ વિકરાળ બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો